ઓજ, તેજ અને ઉર્જાનું પ્રતિક એટલે સાવજ

આજે દિવસ (લાયન ડે)

હિન્દ ન્યુઝ, ભાવનગર

કોઈ માલધારીને પૂછો અથવા માલધારી એકબીજા વચ્ચે જ્યારે સામાન્ય વાત કરતાં હોય ત્યારે તે સાંજે પૂછી લે કે જનાવરના શું વાવડ છે. તો સમજી જવાનું કે, જનાવર એટલે ત્યાં સાવજની વાત થાય છે. માત્ર ગીર નહિ પરંતુ કાઠીયાવાડનો સમગ્ર પંથક સાવજની આખળી બની ગયો છે.

ગીરના માલધારીઓ જ માત્ર સાવજ ને ચાહે છે એવું નથી, પરંતુ શેત્રુંજી કાંઠાના એ મરદ મુછાળા કંધોતરો આજે પણ કહે છે કે સાવજ ની ડણક ન સંભળાય તો ઘાટી ઊંઘ આવવાની કોઈ ગેરંટી નથી.

અમારાં ચંપાયેલા માલઢોર જ્યારે તેની દાઢનો સ્વાદ બની જાય છે તો ક્યારેક જાસકો જરૂર પડે પરંતુ સિંહ માટે કટુતાનો એક ઓડકારો પણ નીકળતો નથી. આ છે કાઠીયાવાડના સાવજને પ્રેમ કરનારા જન-જનના લોકોને કહાની. આજે ૧૦ મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે આ દિવસને મનાવવાની વર્ષ-૨૦૧૩ થી શરૂઆત થઈ અને ગુજરાતમાં વર્ષ-૨૦૧૬ થી વન વિભાગે તેની ઉજવણીનો પ્રારંભ કર્યો.

ક્રમબદ્ધ રીતે જ્યાં – જ્યાં સિંહનું વિચરણ હતું, ત્યાં જનસમુદાય સુધી તેના મન અને મસ્તિષ્કમાં પહોંચીને સિંહ માટે મમતાના શેરડાઓ ફોડવાની મનસ્યા રાખવામાં આવી અને તે સફળ પણ થઈ. આબાલ વૃદ્ધ સૌએ સાવજના ચહેરાઓ ચિપકાવીને રેલીઓ કાઢી અને એક એવો સંદેશ જગતને આપ્યો કે સાવજ એ અમારા દિલો દિમાગમાં છવાઈ ગયેલું શિરમોર પ્રાણી છે. અમે તેને રક્ષિત તો કરીશું પરંતુ આવતી પેઢી પણ તેમાં કોઈ કચાશ નહીં રાખે તેની અત્યારથી જ તૈયારીઓ કરી રાખી છે.

વન્ય પ્રાણી સંરક્ષણ વિભાગના નાયબ વનરક્ષક ડો. મોહન રામના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જુનાગઢ વગેરે જિલ્લાઓમાં સિંહ વિચરણ હતું અને તેથી તે જિલ્લાઓને આ સિંહ આંદોલનમાં જોડવા અગત્યનાં હતાં. જોકે આજે સિંહ હવે બરડા અને પાંચાળ ભૂમિમાં સુરેન્દ્રનગરમાં પણ પહોંચી ગયાના વાવડો મળી રહ્યાં છે. પરંતુ આ એક માત્ર પ્રાણી માટે એક સાથે ૧૧ લાખથી વધારે લોકો શેરીઓમાં પહોંચીને એક નારો ગજવ્યો હોય તેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.

એટલું જ નહીં કોરોના સમયકાળ દરમિયાન આપણે વર્ચ્યુલી ‘લાયન ડે’ ની ઉજવણી કરી હતી અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લગભગ ૭૫ લાખ લોકો આ ઉત્સવમાં ભાગીદાર બનીને એક નવા વિક્રમી આંકડા સુધી આપણે પહોંચી ગયાં છીએ. તે ઘટના આપણા સૌ માટે આનંદ અને ગૌરવ અપાવે તેવી છે. છેલ્લે ૫-૬ જૂન ૨૦૨૦ ની ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ ૬૭૪ સિંહની ગણતરી થઈ હતી. જેમાં ૧૩૭ બચ્ચાં,૧૧૪ પુખ્ત અને બાકીના ૪૨૧ સિંહ -સિહણનો સમાવેશ થાય છે.

આ ગણતરીને લગભગ‌ બે વર્ષ થયાં તેથી સિંહની વસ્તી વધવાનો રેશિયો ૫ % ગણીએ તો બે વર્ષમા ૧૦ % એટલે તેમાં ૭૦ નવા સિંહ નો વધારો થયો છે તેવું માની શકીએ. આ રીતે અત્યારે ગુજરાતમાં સિંહનો આંકડો ૭૫૦ આસપાસનો હોવો જોઈએ ! ભાવનગર જિલ્લામાં છેલ્લી ગણતરીના બે ભાગ પાડેલાં જેમાં ઘાંસિયા મેદાનમાં સિંહ ૨૬, સિંહણ ૧૩ અને ૧૭ બચ્ચાં મળી કુલ ૫૬ ની સંખ્યા હતી.

દરિયાકિનારાના મેદાનોમાં સિંહ ૮, સિંહણ ૪ અને બચ્ચાં ૫ મળી કુલ ૧૭ સિંહ છે. આમ તે બંનેનો સરવાળો ૭૩ છે.બે વરસમાં બીજા ૧૨ નો ઉમેરો કરીએ તો ભાવનગર અત્યારે ૮૫ થી વધુ સિંહ વિચરણ કરે છે.  ભાવનગર જિલ્લાની વાત કરતાં ‘સિંહ દિવસ’ના જિલ્લા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર કહે છે કે, ભાવનગર જિલ્લાની ૧,૭૫૮ શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી ૪,૬૬,૯૬૫ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો હિસ્સો બની સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા લેશે. રેલી, સૂત્રોચ્ચાર અને નાનકડી સિંહની ફિલ્મથી કાર્યક્રમ સંપન્ન થશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment